ષટતિલા એકાદશી - પોષ વદ ૧૧

પુલસ્ત્ય ઋષિને દાલભ્ય ઋષિ પ્રશ્ન પૂછે છે - "હે મુનિવર્ય ! મૃત્યુલોકમાં જન્મ્યાં પછી મનુષ્ય જાણે-અજાણે અનેક પાપ કર્યા કરે છે. મનુષ્યે બ્રહ્મ હત્યા કરી હોય, કોઈનું દ્રવ્ય ચોરી લીધું હોય, પરસ્ત્રી ગમન કર્યું હોય તો પણ શું તે સ્વર્ગ પ્રાપ્તિ કરી શકે છે? આવા ઘોર કર્મ કરનારના પાપનું નિવારણ ખરું?"
 
પુલસ્ત્ય મુનિ કહે છે - "હે મુનિ ! આજ સુધી બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવોએ પણ આ રહસ્ય ગોપનીય રાખ્યું છે. ષટતિલા એકાદશીનું વ્રત કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે. આ વ્રતની વિધિ આ પ્રમાણે છે."
 
આ વ્રતના દિવસે વ્રતીએ બ્રહ્મચર્યનું પાલન કરવું. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે હલકી મનોવૃત્તિઓનો ત્યાગ કરવો.
 
વ્રતધારીએ ગાયના છાણમાં તલ અને રૂ મિશ્રિત કરીને ૧૦૮ ગોળા બનાવવા. આ ગોળા પોષ વદ અગિયારશ પહેલાં મહા માસમાં બનાવી તૈયાર રાખવા.
 
ષટતિલા એકાદશીના દિવસે પ્રાતઃકાળે ઊઠી સ્નાન-વિધિથી પરવારી પુરુષોત્તમ નારાયણનું પૂજન કરવું. રાત્રે જાગરણ કરવું, શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી પ્રભુનું અર્ચન-પૂજન કરવું અને સુગંધિત દ્રવ્યો સમર્પણ કરવાં અને અર્ધ્ય આપી પિતૃઓની સદગતિ માટે પ્રાર્થના કરવી.
 
વ્રતધારીએ પોતાની શક્તિ અનુસાર તલનું ભરેલું પાત્ર અને શ્યામ રંગની ગાય દાનમાં આપવા. જેટલા તલનું દાન કર્યું હોય તેટલા હજાર વર્ષ પર્યંત સ્વર્ગ-પ્રાપ્તિ થાય છે. ષટતિલા એટલે મકર સંક્રાંતિનું સ્વાગત કરવાની પૂર્વ તૈયારી.
 
વ્રતીએ - (૧) શરીરે તલના તેલનું માલિશ કરવું, (૨) તલના પાણીથી સ્નાન કરવું, (૩) તલનો હોમ કરવો, (૪) તલ નાંખેલા જળનું પાન કરવું, (૫) તલવટ બનાવીને ખાવો અને (૬) તલનું દાન કરવું. આ છ પ્રકારે તલ પાપ નષ્ટ કરે છે. (તિલા એટલે તલ)
 
એક વખત ભગવાન શ્રીકૃષ્ણે પણ દેવર્ષિ નારદ મુનિને આ ષટતિલા એકાદશી વ્રતની કથા કહી હતી -
હે મુનિવર્ય નારદ ! મૃત્યુલોકમાં એક વિપ્રની સ્ત્રીએ ષટતિલા વ્રત કરીને, ઉપવાસ કરીને, અને દેવપૂજન કરીને તેમજ ગરીબ લોકો અને કુમારીકાઓને દાનમાં તલ આપીને પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરી હતી. દાન એ ત્યાગનું સોપાન છે. દાનનો મહિમા મોટો છે. દાન માટેનો સદ્વિચાર એક સુંદર સ્ફુરણા છે. દાનમાં પણ વિવેક જરૂરી છે. 'શક્તિ' એવી 'ભક્તિ' કરવી જોઇએ. દયા એ અંતરનો ઉમળકો છે. આ બ્રાહ્મણ સ્ત્રીએ સુપાત્ર દાન કર્યું હતું, તે કીર્તિના બદલાવાળું દાન ન હતું.
 
હે નારદ ! દાનની પાર્શ્વ ભૂમિકામાં ત્યાગની પરમ મંગળ ભાવના રહેલી છે. જો દાનની પાછળ કેવળ ભૌતિક સુખનો હેતુ હોય તો તે દાન સુપાત્ર કહેવાતું નથી. કોઈ વ્યભિચારીને, જુગારીને, શરાબીને, કોઈ દુરાચારીને કે હિંસકને દાન આપવાથી સંસ્કાર ન પોષાતા કેવળ અનીતિ જ પોષાય છે. દાન એ અપરિગ્રહની મંગળ અને ભવ્ય ભાવનાનું પણ પોષક છે.
 
શાસ્ત્રમાં કહ્યું છે કે, જો સૂર્યાસ્ત સુધીમાં યાચકોને દ્રવ્યનું દાન કરવામાં ન આવે તો સવારમાં તે દ્રવ્ય કોનું થશે તે કહેવું મુશ્કેલ છે. આ દાનને લીધે સદાચારને પોષણ મળવું જોઇએ.
 
હે નારદ ! સર્વ શાસ્ત્રોમાંથી એક જ સાર નીકળે છે કે દાન, ઉદારતા અને પરોપકાર જેવો અન્ય કોઈ ધર્મ નથી. મનુષ્ય જો જીવનમાં ઉદારતા દાખવે તો પવિત્રતા અને સિદ્ધિ આપ મેળે આવી વસે છે. પવિત્ર અંતરમાં કદી સ્વાર્થ ટકી શકતો નથી. સુખ કે દુઃખ દરેક સ્થિતિમાં સમતાની ભાવના રાખવી અને સંતોષી બનવું, જેથી જીવનમાં સુખ ને દુઃખનો ભેદ જ નહિ રહે.
 
ઉદારતા એ પ્રેમનું સાચું રૂપ છે. પ્રેમમાં પણ ક્યારેક સ્વાર્થભાવના છૂપાઈ રહેલી હોય છે. ઉદાર વ્રતધારી અન્યનું દુઃખ જોઈ પોતે જાતે દુઃખી થાય છે. પ્રકૃતિનો એ ન ભૂંસાઈ તેવો નિયમ છે કે કોઈ પણ ત્યાગ વ્યર્થ જતો નથી, કરેલ સુપાત્ર દાન વ્યર્થ જતું નથી. આપણાથી વધારે ગરીબ લોકોને દાન આપવાથી આપણી પોતાની ગરીબીનો ભાવ નષ્ટ થઈ જાય છે, એનામાં આત્મવિશ્વાસ દૃઢ બની જાય છે, પરિણામે તેની માનસિક શક્તિ થાય છે. જે વ્રતી નિત્ય ઉદાર વિચાર રાખે છે, તેના સંકલ્પો પણ સિદ્ધ થાય છે. અખંડ સુખ ઉદારતા વડે જ પ્રાપ્ત થાય છે. ધન દ્વારા ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે, પરંતુ આત્મસુખ તો ઉદારતા વગર અશક્ય છે.
 
તમારે જેની જરૂર નથી એ વસ્તુ મને આપી દો એમાં 'ઉદારતા' નથી, પણ તમારે જેની જરૂર મારા કરતાં વધારે છે, એ વસ્તુ તમે મને આપી દો, એમાં જ સાચી ઉદારતા છે.
 
હે નારદ ! ષટતિલા એકાદશીનું વ્રત તો માત્ર ઉદાહરણ તરીકે છે. ઉદાર વ્રતધારી પોતાની આસપાસ ઉત્તમ પ્રકારની ઉદારતાનું વાતાવરણ સર્જી શકે છે. વિદ્યા જેટલી વધારે અપાય તેટલી તે વધે છે. દાન દેવાથી કોઈ વસ્તુનું વધવું તે કાંઈ ફક્ત વિદ્યાદાનના વિષયમાં સાચું છે તેમ નથી, પરંતુ ઔદાર્યની બાબતમાં પણ સાચું છે.
 
સ્વાર્થ ભાવના મનમાં ક્ષોભ ઉત્પન્ન કરે છે અને ઉદાર ભાવના શીલ ઉત્પન્ન કરે છે. ઉદાર વિચાર મનુષ્યની એવી મહાન સંપત્તિ છે કે જે તેને વિપત્તિ સમયે તે સહાયતા કરે છે. ઉદાર મનુષ્ય હંમેશા ઉત્સાહી અને આશાવાદી હોય છે. ઉદારતા કે પરોપકાર તે માન માત્રનું કર્તવ્ય છે. જે મનુષ્ય જનકલ્યાણ માટે મથતો નથી તેનું જગતમાં જન્મવું અને જીવવું ભારરૂપ છે.
 
એકાદશીનું અનુપમ વ્રત કરનારે પોતાની જીવન સરિતા કલ્યાણ માર્ગે વહાવવી જોઇએ. તેના હ્રદયમાં હંમેશા લોક કલ્યાણની ભવ્ય ભાવના વસેલી હોવી જોઇએ. આપણું જીવન આપણા એકલા માટે જ છે એવું નહિ માનતા સર્વના માટે છે એમ માનવું જોઇએ. સહ્રદયતા એ અમૂલ્ય ધન છે. આપનાર મેળવે છે, લેનાર ગુમાવે છે. ઉદારતા એ માનવ જીવનનો અતિ સુંદર અંશ છે.
 
રાય ને રંકની પરિભાષા એ છે કે, સંતોષી તે રાય અને અસંતોષી તે રંક. પ્રસિદ્ધિ અને રિદ્ધિ એ બેમાંથી એકેય સિદ્ધિનું સાચું માપ નથી. સિદ્ધિનું સાચું આપ છે માત્ર ઉદારતા. જે ઉદારતામાં અભિમાન ભળે છે એ ઉદારતા પોતાની સાત્વિકતા ગુમાવી બેસે છે.
 
આ બ્રાહ્મણ સ્ત્રીએ પોતાની શક્તિ અનુસાર ઉદારતાથી અન્ન-વસ્ત્રનું દાન કર્યું હતું તેથી એને ષટતિલા એકાદશી વ્રતના પુણ્ય પ્રભાવથી સૌન્દર્ય, તેજ, રિદ્ધિ-સિદ્ધિ, સંપત્તિ અને સંતતિ પ્રાપ્ત થયાં હતાં. આ પરમ પવિત્ર દિવસે જે લોકો લોભ વૃત્તિ ત્યજીને, તૃષ્ણા ત્યજીને, "तेन त्यक्तेन भुंजिथा" એ સૂત્રાનુસાર ત્યાગ-ભાવના દાખવીને, ઉદારતા દાખવીને દલિત-પીડિત વર્ગને યથાશક્રિ અન્ન દાન, વસ્ત્ર દાન વગેરે આપે છે તે વ્યક્તિ જન્મ જન્માંતર સુધી આરોગ્યને પામે છે. તેને દુઃખ, દરિદ્રતા અને દૌભાગ્યનો સામનો કરવો પડતો નથી.
 
આ પ્રકારે ભવિષોત્તર પુરાણમાં આ વ્રતના માહાત્મ્યનો જે નિર્દેશ કર્યો છે તે માહાત્મ્ય નારદજીને ભગવાન શ્રીકૃષ્ણે સવિસ્તાર કહી સંભળાવ્યું. આ વ્રત-કથાનું જે શ્રવણ અને વાચન કરે છે તેના પણ સર્વ પાપો નષ્ટ થાય છે અને તે વૈકુંઠને પામે છે.